ગુજરાત પાઠયપુસ્તક દ્વારા વિધાર્થીઓના અભ્યાસ માટે છાપવામાં આવેલા પુસ્તકોમાં ટીવીની સીરીયલ અને અન્ય પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-૭ના બીજા સત્રના હિન્દી વિષયના પુસ્તકમાં સમય સારણી દર્શાવા માટે ટીવીના કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેના કારણે પાઠયપુસ્તક મંડળ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાત પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ-૭ના હિન્દી વિષયના બીજા સત્રમાં ખાનગી મનોરંજક ચેનલ અને સમાચાર ચેનલના કાર્યક્રમોની સુચી છાપવામાં આવી છે. જેમાં એક મનોરંજક ફિલ્મી, એક ન્યુઝ ચેનલ અને એક માહિતી આપતી ચેનલના કાર્યક્રમની સુચીનો સમાવેશ થાય છે.
ટીવીના કાર્યક્રમોના પાઠને લઈને ગુજરાત કોંગ્રેસ મુદ્દો બનાવ્યો છે કોંગ્રેસના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાઠયપુસ્તકોમાં વિધાર્થીઓને જ્ઞાન મળે તે માટે ઈતિહાસમાં થઈ ગયેલા યુગપુરૂષો અને નેતાઓના જીવન ધોરણ ભણાવવા જોઈએ જો કે ભાજપા પાસે કોઈ નેતાઓનો ઈતિહાસ નહીં હોવાથી તેઓ ટીવી ચેનલોના શરણે ગયા છે.
જો કે અમદાવાદ મહાનગરપાલિકાના સ્કુલ બોર્ડના ચેરમેનના જણાવ્યા પ્રમાણે પાઠયપુસ્તકના મુદ્દાને લઈને કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ હિન્દી વિષયનું પુસ્તક છે એટલે તેમાં ઈતિહાસ ન રાખી શકાય તેમણે જણાવ્યું હતું કે આજ પ્રકરણમાં બસ સ્ટેશનમાં લગાડવામાં આવેલા બસનો ટાઈમ દર્શાવતા બોર્ડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે બાળકો આસાનીથી સમજી શકે અને પોતાનું સમય પત્રક બનાવી શકે તે માટે તેમની આસપાસના વાતાવરણને સાંકળીને પ્રકરણ તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં શિક્ષણ માટેની માળખાગત સુવિધાઓ મુદ્દે કેગે સરકારની ઝાટકણી કાઢી છે હવે પુસ્તકોમાં ટીવીના કાર્યક્રમની સુચીની વાત બહાર આવતાં સરકાર સામે વધુ એક સમસ્યા આવી છે.